વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યરૂશાલેમનો નાશ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • યરૂશાલેમ અને મંદિર આગમાં બળી રહ્યું છે

      પાઠ ૫૮

      યરૂશાલેમનો નાશ

      યહૂદાના લોકો વારંવાર યહોવાને છોડીને જૂઠા દેવોની ભક્તિ કરતા હતા. વર્ષો સુધી યહોવાએ તેઓને મદદ કરવાની કોશિશ કરી કે તેઓ તેમની પાસે પાછા ફરે. તેમણે તેઓને ચેતવણી આપવા ઘણા પ્રબોધકો પણ મોકલ્યા. પ્રબોધકોની વાત સાંભળવાને બદલે લોકોએ તેઓની મજાક ઉડાવી. યહોવાએ મૂર્તિપૂજા બંધ કરાવવા શું કર્યું?

      બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર એક પછી એક ઘણા દેશો જીતી રહ્યા હતા. જ્યારે તેમણે પહેલી વાર યરૂશાલેમ પર કબજો કર્યો, ત્યારે તે રાજા યહોયાખીન, તેના અધિકારીઓ, શૂરવીર લડવૈયાઓ અને કારીગરોને ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયા. તે યહોવાના મંદિરનો બધો ખજાનો પણ લઈ ગયા. એ પછી તેમણે સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો.

      શરૂ શરૂમાં તો સિદકિયાએ નબૂખાદનેસ્સારની વાત માની. પણ પછી આસપાસના દેશો અને જૂઠા પ્રબોધકોએ તેને કહ્યું કે તે બાબેલોન સામે બળવો કરે. યર્મિયાએ તેને કહ્યું: ‘જો તું બળવો કરશે, તો યહૂદામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવશે, અનાજ ખૂટી પડશે, અને બીમારી ફેલાશે.’

      આઠ વર્ષ રાજ કર્યા પછી, સિદકિયાએ બાબેલોન સામે બળવો કરવાનું નક્કી કર્યું. બાબેલોન સામે લડવા તેણે ઇજિપ્તની સેના પાસે મદદ માંગી. એટલે નબૂખાદનેસ્સારે યરૂશાલેમ પર હુમલો કરવા પોતાની સેના મોકલી. સેનાએ આખું શહેર ઘેરી લીધું. યર્મિયાએ સિદકિયાને કહ્યું: ‘યહોવાએ કહ્યું છે કે તું બાબેલોન સામે હાર માની લે. જો તું એમ કરશે, તો તું અને આ શહેર બચી જશે. પણ જો તું એમ નહિ કરે, તો બાબેલોનના લોકો યરૂશાલેમને બાળી નાખશે અને તને ગુલામ બનાવીને લઈ જશે.’ સિદકિયાએ કહ્યું: ‘હું હાર નહિ માનું.’

      દોઢ વર્ષ પછી બાબેલોનની સેના યરૂશાલેમની દીવાલો તોડીને શહેરમાં ઘૂસી ગઈ. સેનાએ આખા શહેરને આગ લગાવી દીધી. અરે, મંદિરને પણ બાળીને ખાખ કરી નાખ્યું. ઘણા બધા લોકોને મારી નાખ્યા અને હજારો લોકોને ગુલામ બનાવીને લઈ ગયા.

      સિદકિયા યરૂશાલેમથી ભાગી ગયો. પણ બાબેલોનના સૈનિકોએ તેનો પીછો કર્યો. તેઓએ યરીખો પાસે તેને પકડી પાડ્યો અને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સારે સિદકિયાની સામે તેના દીકરાઓને મારી નાખ્યા. તેમણે સિદકિયાને આંધળો કરી નાખ્યો અને જેલમાં નાખી દીધો. પછી તે ત્યાં જ મરી ગયો. યહોવાએ યરૂશાલેમના લોકોને વચન આપ્યું: ‘હું ૭૦ વર્ષ પછી તમને યરૂશાલેમ પાછા લઈ આવીશ.’

      ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયેલા લોકોમાં યુવાનો પણ હતા. તેઓનું શું થયું? શું તેઓ યહોવાને વફાદાર રહ્યા?

      “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા, તમારા ન્યાયચુકાદા ભરોસાપાત્ર અને ખરા છે.”—પ્રકટીકરણ ૧૬:૭

      સવાલ: નબૂખાદનેસ્સાર કોણ હતા? તેમણે યરૂશાલેમનું શું કર્યું? સિદકિયા કોણ હતો?

      ૨ રાજાઓ ૨૪:૧, ૨, ૮-૨૦; ૨૫:૧-૨૪; ૨ કાળવૃત્તાંત ૩૬:૬-૨૧; યર્મિયા ૨૭:૧૨-૧૪; ૨૯:૧૦, ૧૧; ૩૮:૧૪-૨૩; ૩૯:૧-૯; હઝકિયેલ ૨૧:૨૭

  • ચાર છોકરાઓએ યહોવાની આજ્ઞા માની
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા રાજાએ આપેલું ભોજન ખાવાની ના પાડી રહ્યા છે

      પાઠ ૫૯

      ચાર છોકરાઓએ યહોવાની આજ્ઞા માની

      નબૂખાદનેસ્સાર યહૂદાના અધિકારીઓને, એટલે કે યહૂદાના રાજાઓ અને પ્રધાનોના દીકરાઓને બાબેલોન લઈ આવ્યા. તેમનો એક દરબારી હતો. તેનું નામ હતું આસ્પનાઝ. રાજાએ યુવાનોની જવાબદારી તેને સોંપી. નબૂખાદનેસ્સારે એ દરબારીને કહ્યું કે યુવાનોમાંથી સૌથી તંદુરસ્ત અને હોશિયાર છોકરાઓને પસંદ કરે. એ યુવાનોએ ત્રણ વર્ષ તાલીમ લેવાની હતી, જેથી બાબેલોનના મોટા અધિકારી બની શકે. તેઓએ બાબેલોનની ભાષા વાંચતા, લખતા અને બોલતા શીખવાનું હતું. રાજા અને દરબારીઓ જે ખાતા હતા, એ જ તેઓએ ખાવાનું હતું. એમાંના ચાર છોકરાઓના નામ હતાં: દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા. આસ્પનાઝે તેઓને બાબેલોની નામ આપ્યાં: બેલ્ટશાસ્સાર, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો. તાલીમ મેળવ્યા પછી શું આ ચાર યહૂદીઓ યહોવાને ભૂલી જશે?

      એ ચાર યુવાનોએ નક્કી કરી લીધું હતું કે તેઓ યહોવાની આજ્ઞા માનશે. તેઓ જાણતા હતા કે રાજાએ આપેલું ખાવાનું ન ખાવું જોઈએ. કેમ કે, એમાંની અમુક વસ્તુઓ યહોવાના નિયમ પ્રમાણે અશુદ્ધ હતી. તેઓએ આસ્પનાઝને વિનંતી કરી: ‘અમને રાજાએ આપેલું ખાવાનું ન આપશો.’ આસ્પનાઝે તેઓને કહ્યું: ‘જો તમે એ નહિ ખાઓ અને રાજા જોશે કે તમે નબળા દેખાઓ છો, તો મને મારી નાખશે.’

      દાનિયેલને એક વિચાર આવ્યો. તેમણે કારભારીને કહ્યું: ‘અમને દસ દિવસ સુધી ફક્ત શાકભાજી અને પાણી આપો. પછી જોજો કે કોણ તંદુરસ્ત દેખાય છે, અમે કે રાજાનું ખાવાનું ખાય છે એ યુવાનો.’ એ કારભારી માની ગયો.

      દસ દિવસ પછી દાનિયેલ અને તેના ત્રણેય દોસ્તો, બીજા યુવાનો કરતાં વધારે તંદુરસ્ત દેખાતા હતા. યહોવા બહુ ખુશ થયા, કેમ કે એ ચાર યુવાનોએ તેમની વાત માની. યહોવાએ દાનિયેલને સપનાં અને દર્શનો સમજવાની બુદ્ધિ આપી.

      યુવાનોની તાલીમ પૂરી થઈ પછી, આસ્પનાઝ તેઓને રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ આવ્યો. રાજાએ તેઓ સાથે વાત કરી અને જોયું કે દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા પાસે બીજા યુવાનો કરતાં વધારે બુદ્ધિ અને સમજણ છે. રાજાએ ચારેય યુવાનોને પોતાના દરબારમાં કામ કરવા પસંદ કર્યા. રાજા ઘણી વાર મહત્ત્વનાં કામ માટે તેઓની સલાહ લેતા. આ ચાર યુવાનો રાજાના બધા જ્ઞાનીઓ અને જાદુગરો કરતાં વધારે જ્ઞાની હતા, કેમ કે યહોવાએ તેઓને સમજણ આપી હતી.

      દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા બીજા દેશમાં હતા. તોપણ તેઓ ક્યારેય ન ભૂલ્યા કે તેઓ યહોવાના લોકો છે. તમારાં મમ્મી-પપ્પા સાથે હોય કે ન હોય, શું તમે પણ યહોવાને હંમેશાં યાદ રાખશો?

      “તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.”—૧ તિમોથી ૪:૧૨

      સવાલ: દાનિયેલ અને તેના ત્રણ દોસ્તોએ યહોવાની આજ્ઞા કેમ માની? યહોવાએ કઈ રીતે તેઓને મદદ કરી?

      દાનિયેલ ૧:૧-૨૧

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો