મુખ્ય વિષય | સારી આદતો કેળવવા શું કરશો?
૧ વાજબી બનો
જીવનમાં ફેરફાર કરીને બધી આદતો તરત બદલી નાખવી અશક્ય છે. તમે વિચારશો કે, ‘આ અઠવાડિયાથી હું ધૂમ્રપાન કરવાનું, ખરાબ શબ્દો બોલવાનું છોડી દઈશ અને વહેલો ઊંઘી જઈશ. તેમ જ, કસરત કરવાનું, પૌષ્ટિક ખોરાક ખાવાનું અને દાદા-દાદી સાથે વાત કરવાનું શરૂ કરીશ.’ પણ, બધા ધ્યેય એક સાથે પૂરા કરવાની કોશિશ કરશો તો એકેયમાં સફળ નહિ થાઓ.
શાસ્ત્રનો સિદ્ધાંત: “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.”—નીતિવચનો ૧૧:૨.
નમ્ર વ્યક્તિ વાજબી હોય છે. તે જાણે છે કે પોતાની પાસે કેટલો સમય અને શક્તિ છે તથા પોતાની વસ્તુઓનો કેટલો ઉપયોગ કરી શકે છે. એટલે, તે એક સાથે બધા ફેરફાર કરવાને બદલે ધીમે ધીમે કરે છે.
બધા ધ્યેય એક સાથે પૂરા કરવાની કોશિશ કરશો તો એકેયમાં સફળ નહિ થાઓ
તમે શું કરી શકો?
એક કે બે આદતો પર કામ કરો. નીચેનાં સૂચનો કદાચ મદદ કરશે:
બે લિસ્ટ બનાવો. એકમાં સારી આદતો લખો, જે તમે કેળવવા માંગો છો અને બીજા લિસ્ટમાં ખરાબ આદતો લખો, જે તમારે કાઢી નાખવી છે. લિસ્ટ બનાવવામાં કંજૂસાઈ ના કરતા, શક્ય એટલી આદતો યાદ કરીને લિસ્ટમાં લખો.
તમારા માટે જે મહત્ત્વની આદતો હોય, એને શરૂઆતમાં રાખજો.
શરૂઆતમાં, દરેક લિસ્ટમાંથી અમુક જ આદતો પર કામ કરો. અને એ જ આદતો પર ધ્યાન આપો. પછી, બંને લિસ્ટમાંથી બીજી અમુક આદતો પર કામ કરો.
સારી આદતો કેળવીને ખરાબને જલદીથી કાઢી નાખો. દાખલા તરીકે, કદાચ તમે વધુ પડતો સમય ટી.વી. જોવા પાછળ કાઢતા હશો. એ તમારી ખરાબ આદત છે. પણ, તમારે મિત્રો કે સગાં સાથે સંપર્કમાં રહેવાની સારી આદત કેળવવી છે. તમે નિર્ણય કરી શકો: ‘કામ પરથી ઘરે પાછો આવું ત્યારે, તરત ટી.વી. ચાલુ કરવાને બદલે હું પહેલા મિત્રો કે સગાંને ફોન કરીશ.’ (g16-E No. 4)