યુવાનો પૂછે છે
કઈ રીતે મારા મનને કેળવી શકું?
નીચે જણાવેલી કઈ બાબત સાથે તમારા મનને સરખાવી શકો?
દિશા બતાવતું યંત્ર
અરીસો
દોસ્ત
ન્યાયાધીશ
એ ચારેય જવાબ સાચા છે. એ વિશે આ લેખમાં જોઈશું.
મન એટલે શું?
મન એટલે અંદરનો અવાજ જે ખરા-ખોટાની સમજ આપે છે. બાઇબલ કહે છે, ‘નિયમશાસ્ત્રની વાતો તમારા દિલમાં લખેલી છે.’ (રોમનો ૨:૧૫) તમે જે નિર્ણય લીધો છે કે લેવાના છો, એ તમારા ભલા માટે છે કે નહિ એ જોવા તમારું મન મદદ કરશે.
મન દિશા બતાવતા યંત્ર જેવું છે. એ તમને સાચા રસ્તે જવા દોરે છે જેથી તમે મુશ્કેલીઓ ટાળી શકો.
મન અરીસા જેવું છે. એ તમારા સંસ્કારો છે જે બતાવે છે કે તમે અંદરથી કેવા છો.
મન સાચા દોસ્ત જેવું છે. જો તમે એનું સાંભળો તો એ તમને સારા નિર્ણય લેવા અને સફળ થવા મદદ કરે છે.
મન ન્યાયાધીશ જેવું છે. જો તમે કંઈ ખોટું કરો તો એ તમને ટકોર કરે છે.
એક સારું મન તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે
વાતનો સાર: તમારું મન એક જરૂરી સાધન જેવું છે. જે તમને (૧) સારા નિર્ણયો લેવા અને (૨) ભૂલો કબૂલ કરવા અને સુધારવા મદદ કરે છે.
મન કેળવવું કેમ જરૂરી?
બાઇબલ કહે છે, “તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.” (૧ પિતર ૩:૧૬) જો તમારું મન કેળવાયેલું નહિ હોય તો એમ કરવું અઘરું થશે.
“હું ક્યાં ગઈ હતી એ વિશે મારાં મમ્મી-પપ્પાને કહેતી નહિ. તેઓથી વાતો છુપાવતી. પહેલાં તો મારું મન કચવાતું, પણ સમય જતાં મને લાગવા માંડ્યું કે એમાં કંઈ ખોટું નથી.”—જેનીફર.
છેવટે, જેનીફરનું મન તેને ટકોર કરે છે કે તે તેનાં મમ્મી-પપ્પાને સાચી વાત જણાવે અને તેઓને છેતરવાનું બંધ કરે.
વિચારવા જેવું: જેનિફરના મને સૌથી પહેલા ક્યારે ટકોર કરી હોઈ શકે?
“જે વ્યક્તિ દેખાડે કંઈક પણ હોય કંઈક, તેના માટે એવું જીવન જીવવું ખૂબ અઘરું હોય છે. જો એક વાર મનને ખોટો નિર્ણય લેવા દઈએ તો બીજી વાર એને ખોટું કરવું અઘરું નહિ લાગે.”—મેથ્યુ
અમુક લોકો પોતાના મનના અવાજને જરાય ગણકારતા નથી. બાઇબલ કહે છે, “તેઓએ શરમ બાજુ પર મૂકી દીધી છે.”—એફેસીઓ ૪:૧૯.
વિચારવા જેવું: જેઓને પોતાના ખોટાં કામો માટે જરાય દુઃખ નથી શું તેઓનું જીવન સારું હોય છે? છેવટે તેઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
વાતનો સાર: મન શુદ્ધ રાખવા તમારે ‘પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખવું પડશે.’—હિબ્રૂઓ ૫:૧૪.
મન કઈ રીતે કેળવી શકો?
મન કેળવવા તમારાં કાર્યોને અમુક ધોરણો સાથે સરખાવી શકો. અમુક વ્યક્તિઓ નીચે આપેલા લોકોનાં ધોરણો પ્રમાણે ચાલે છે:
કુટુંબ અને સમાજ
દોસ્તો
લોકપ્રિય કલાકારો
બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવું સૌથી સારું છે. એમાં કોઈ શંકા નથી, કારણ કે બાઇબલ “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” આપણા સર્જનહાર જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે.—૨ તિમોથી ૩:૧૬.
અમુક દાખલા પર ધ્યાન આપો.
બાઇબલ ધોરણ: “અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.”—હિબ્રૂઓ ૧૩:૧૮.
તમે મમ્મી-પપ્પા સામે જૂઠું બોલવા, પરીક્ષામાં કે બીજે ક્યાંક ચોરી કરવા લલચાઓ ત્યારે એ ધોરણ કઈ રીતે તમારા મનને મદદ કરી શકે?
જો તમારું મન તમને દરેક બાબતમાં પ્રમાણિક રહેવા ટકોરતું હોય તો એ કઈ રીતે તમને આજે અને ભાવિમાં મદદરૂપ થઈ શકે?
બાઇબલ ધોરણ: “વ્યભિચારથી નાસી જાઓ!”—૧ કોરીંથીઓ ૬:૧૮.
તમે ગંદા ચિત્રો જોવા અથવા લગ્ન પહેલા સેક્સ કરવા લલચાઓ ત્યારે એ ધોરણ કઈ રીતે તમારા મનને મદદ કરી શકે?
જો તમારું મન તમને વ્યભિચારથી નાસી જવા ટકોરતું હોય તો એ કઈ રીતે તમને આજે અને ભાવિમાં મદદરૂપ થઈ શકે?
બાઇબલ ધોરણ: “એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ રીતે વર્તો, એકબીજાને દિલથી માફ કરો.”—એફેસીઓ ૪:૩૨.
તમારા ભાઈ કે બહેન કે પછી દોસ્ત સાથે તમારું બનતું ન હોય ત્યારે એ ધોરણ કઈ રીતે મદદ કરી શકે?
જો તમારું મન તમને માયાળુ બનવા અને દિલથી માફ કરવા ટકોરતું હોય તો એ કઈ રીતે તમને આજે અને ભાવિમાં મદદરૂપ થઈ શકે?
બાઇબલ ધોરણ: ‘યહોવા હિંસા ચાહનારને નફરત કરે છે.’—ગીતશાસ્ત્ર ૧૧:૫.
તમારે કોઈ ફિલ્મ, ટીવી શો અને વીડિયો ગેમની પસંદગી કરવાની હોય ત્યારે એ ધોરણ કઈ રીતે મદદ કરી શકે?
જો તમારું મન તમને હિંસાથી નફરત કરવા ટકોરતું હોય તો એ કઈ રીતે તમને આજે અને ભાવિમાં મદદરૂપ થઈ શકે?
સાચો બનાવ: “મારા અમુક દોસ્તારો હિંસક વીડિયો ગેમ રમતા. હું પણ એવી ગેમ રમતો. મારા પપ્પાએ એકવાર મને કહ્યું કે હું એવી ગેમ ના રમું. એટલે હું જ્યારે મારા દોસ્તોને ઘરે જતો ત્યારે જ એવી ગેમ રમતો. પણ ઘરે આવી એ વિશે હું કંઈ જણાવતો નહિ. મારા પપ્પા મને પૂછતા શું થયું, કેમ ચૂપ છે? હું કહેતો કંઈ નહિ, બધું ફાઈન છે. એક દિવસે મેં ગીતશાસ્ત્ર ૧૧:૫ વાંચી અને હું જે કરી રહ્યો હતો એ વિચારી મારું મન ડંખવા લાગ્યું. મને અહેસાસ થયો કે મારે એવી હિંસક ગેમ રમવાનું બંધ કરવું જોઈએ અને મેં એવું જ કર્યું. એ જોઈને મારા એક દોસ્તારે પણ હિંસક ગેમ રમવાનું બંધ કરી દીધું.”—જેરેમી.
વિચારવા જેવું: જેરેમીનું મન ક્યારે કામ કરવા લાગ્યું? ક્યારે તેણે મનનો અવાજ સાંભળવાનું શરૂ કર્યું? તમે જેરેમીના દાખલામાંથી શું શીખી શકો?
વાતનો સાર: તમારું મન બતાવી આપે છે કે તમે કેવા છો અને તમારા માટે શું મહત્ત્વનું છે. તમારું મન તમારા વિશે શું જણાવે છે?