ઉકેલ શું છે?
શરણાર્થીઓની પરિસ્થિતિ સંપૂર્ણપણે અંધકારમય નથી. જગત ફરતે, માનવહિતની સમર્થક સંસ્થાઓ યુદ્ધથી અને બીજા કોયડાથી વિસ્થાપિત થયેલાઓને સહાય કરવા તનતોડ મહેનત કરે છે. તેઓની સહાય કરવાની મુખ્ય રીત શરણાર્થીઓને તેઓના તળપદા દેશોમાં પાછા ફરવા મદદ કરવી છે.
શરણાર્થીઓએ ઘર, સમાજ, અને દેશ તરછોડ્યા હોય છે કેમ કે તેઓને બીક હોય છે કે તેઓને મારી નાખવામાં, રિબાવવામાં, બળાત્કાર કરવામાં, જેલમાં પૂરવામાં, ગુલામો બનાવવામાં, લૂંટવામાં, કે ભૂખે મારવામાં આવશે. તેથી શરણાર્થીઓ સલામતપણે ઘરે પાછા ફરે એના પહેલાં, જે કોયડાએ તેઓને નાસવા પ્રેર્યા એ ઉકેલવા જ જોઈએ. સશસ્ત્ર વિગ્રહ આખરે પૂરો થાય છે ત્યારે, ધારાધોરણોનો અભાવ ઘણીવાર લોકોને ઘરે જવા નિરુત્સાહ કરતા હોય છે. છ બાળકોની રુવાન્ડન શરણાર્થી માતા એગ્નસે કહ્યું: “અમને રુવાન્ડામાં [પાછા] લઈ જવા એ અમને અમારી કબરોમાં લઈ જવા જેવું હશે.”
તથાપિ, ૧૯૮૯થી માંડીને, નેવું લાખથી વધુ શરણાર્થીઓ પોતાના ઘરોએ પાછા ફર્યા છે. એમાંના લગભગ ૩૬ લાખ લોકો ઈરાન અને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પાછા ફર્યા છે. બીજા છ દેશોમાંથી ૧૬ લાખ શરણાર્થીઓ મોઝામ્બિક પાછા ફર્યા છે, અર્થાત્ ૧૬ વર્ષના આંતરવિગ્રહથી છિન્નભિન્ન થયેલું એક રાષ્ટ્ર.
પાછા ફરવું સહેલું નથી. ઘણીવાર શરણાર્થીઓ જેમાં પાછા ફરે છે એ દેશો ઉજ્જડ થઈ ગયા હોય છે—જેમાં ગામડાઓ ખંડિયેર બન્યા હોય છે, પુલો તૂટી ગયા હોય છે, અને રસ્તાઓ અને ખેતરોમાં સુરંગો પાથરવામાં આવી હોય છે. તેથી, પાછા ફરેલા શરણાર્થીઓએ નવેસરથી પોતાના જીવનનું જ નહિ પરંતુ તેઓનાં ઘરો, નિશાળો, દવાખાનાં, અને બીજી દરેક વસ્તુનું પુનઃબાંધકામ કરવું પડે છે.
તોપણ, વિગ્રહની જ્વાળાઓ એક જગ્યાએ ઓલવાઈ જાય અને શરણાર્થીઓને પાછા ફરવા દે છે ત્યારે, એ બીજે ક્યાંક શરૂ થાય છે, અને નવા શરણાર્થીઓનો પ્રવાહ પેદા થાય છે. તેથી, શરણાર્થીઓની કટોકટીને ઉકેલવાનો અર્થ, યુદ્ધ, દમન, ધિક્કાર, સતાવણી, અને લોકોને જીવ બચાવવા નસાડતા ઘટકોને ઉકેલવા થાય છે.
ધ સ્ટેટ ઓફ ધ વલ્ડ્ર્સ રેફ્યુજીઝ ૧૯૯૫ કબૂલે છે: “નક્કર સત્ય . . . એ છે કે [શરણાર્થીઓની કટોકટીના] ઉકેલો આખરે રાજકીય, લશ્કરી અને આર્થિક ઘટકો પર આધારિત છે જે કોઈ પણ માનવહિત સમર્થક સંસ્થાઓના કાબૂની બહાર છે.” બાઇબલ અનુસાર, એ જ રીતે ઉકેલ કોઈ પણ માનવહિત કે બીજા કોઈ પાર્થિવ સંગઠનની પહોંચની બહારની બાબત છે.
શરણાર્થીઓ વિનાનું જગત
તેમ છતાં, ઉકેલ રહેલો છે. બાઇબલ બતાવે છે કે યહોવાહ દેવ એવા લોકોની કાળજી રાખે છે જેઓને તેઓના ઘરો અને કુટુંબોથી અલગ કરવામાં આવ્યા હોય. પૃથ્વી પરની સરકારોથી ભિન્ન, તેમની પાસે માનવજાતે સામનો કરવા પડતા સર્વ જટિલ કોયડાને ઉકેલવા માટે શક્તિ અને ડહાપણ છે. તે તેમના રાજ્ય મારફતે એમ કરશે—જે એક આકાશી સરકાર છે જે જલદી જ પૃથ્વીની બાબતો હાથમાં લેશે.
દેવનું રાજ્ય સર્વ માનવ સરકારોનું સ્થાન લેશે. પૃથ્વી પર અત્યારે આપણી પાસે છે એવી ઘણી સરકારો હોવાને બદલે, ફક્ત એક જ સરકાર હશે, જે આખા ગ્રહ પર શાસન કરશે. બાઇબલ ભાખે છે: “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.
તમે બાઇબલમાં માત્થી ૬:૯-૧૩માં મળી આવતી નમૂનાની પ્રાર્થનાથી પરિચિત હશો. એ પ્રાર્થનાનો એક ભાગ કહે છે: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” એ પ્રાર્થનાના સુમેળમાં, પૃથ્વી માટે દેવનો હેતુ સિદ્ધ કરવા દેવનું રાજ્ય જલદી જ ‘આવશે.’
દેવના રાજ્યના પ્રેમાળ શાસન હેઠળ, વિશ્વવ્યાપી શાંતિ અને સલામતી હશે. પૃથ્વીના લોકો અને રાષ્ટ્રો વચ્ચે ધિક્કાર અને લડાઈ રહી નહિ હોય. (ગીતશાસ્ત્ર ૪૬:૯) ફરી કદી લાખો શરણાર્થીઓ પોતાના જીવન માટે નાસતા નહિ હોય કે છાવણીઓમાં સબડાતા નહિ હોય.
દેવનો શબ્દ વચન આપે છે કે દેવના રાજ્યના રાજા, ખ્રિસ્ત ઈસુ, “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪. (g96 8/22)
જલદી જ બધા એકબીજા સાથે સાચા ભાઈઓ અને બહેનો તરીકેનો વ્યવહાર રાખશે