પાઠ ૬૨
મોટા ઝાડ વિશેનું સપનું
એક રાતે નબૂખાદનેસ્સારને એવું સપનું આવ્યું કે તે ડરી ગયા. એ સપનાનો અર્થ જાણવા તેમણે પોતાના જ્ઞાનીઓને બોલાવ્યા. પણ તેઓ એનો અર્થ જણાવી શક્યા નહિ. આખરે રાજાએ દાનિયેલ સાથે વાત કરી.
નબૂખાદનેસ્સારે દાનિયેલને કહ્યું: ‘મેં સપનામાં એક મોટું ઝાડ જોયું. એ એટલું ઊંચું હતું કે એની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. પૃથ્વીની કોઈ પણ જગ્યાએથી એ ઝાડ દેખાતું હતું. એનાં પાંદડાં ખૂબ સુંદર હતાં અને એના પર ઘણાં ફળ લાગેલાં હતાં. એની છાયામાં જાનવરો આરામ કરતા હતાં. એની ડાળીઓ પર પક્ષીઓ માળા બનાવતાં હતાં. પછી સ્વર્ગમાંથી એક દૂત આવ્યો. એ દૂતે મોટેથી કહ્યું: “એ ઝાડ અને એની ડાળીઓને કાપી નાખો. પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં જ રહેવા દો. એને લોખંડ અને તાંબાના બંધનથી બાંધી દો. એ ઝાડનું હૃદય બદલાઈ જશે. એનું હૃદય માણસનું નહિ રહે, પણ જાનવરનું હૃદય થઈ જશે અને સાત સમયો વીતશે. બધા લોકો જાણશે કે સર્વોચ્ચ ઈશ્વર જ રાજા છે અને તે ચાહે તેને એ રાજ્ય આપી શકે છે.”’
યહોવાએ દાનિયેલને એ સપનાનો અર્થ જણાવ્યો. જ્યારે દાનિયેલ એ સપનાનો અર્થ સમજ્યા, ત્યારે તે ખૂબ ડરી ગયા. તેમણે કહ્યું: ‘હે રાજા! કાશ આ સપનું તમારા દુશ્મનો વિશે હોત, પણ એ તમારા વિશે છે. જે મોટું ઝાડ કાપી નાખવામાં આવ્યું એ તમે છો. તમે પોતાનું રાજ ગુમાવી દેશો અને જંગલી જાનવરની જેમ મેદાનમાં ઘાસ ખાશો. પણ દૂતે કહ્યું હતું ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં જ રહેવા દો. એનો અર્થ થાય તમે ફરીથી રાજા બનશો.’
એ સપનાને એક વર્ષ વીતી ગયું હતું. એક દિવસ નબૂખાદનેસ્સાર પોતાના મહેલના ધાબા પર લટાર મારી રહ્યા હતા. તેમણે બાબેલોન શહેર વિશે બડાઈ મારતા કહ્યું: ‘જુઓ, આ શહેર કેટલું ભવ્ય છે! મેં એને કેટલું જોરદાર બનાવ્યું છે. હું કેટલો મહાન છું!’ જ્યારે તેમણે એમ કહ્યું કે તરત, સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો: ‘નબૂખાદનેસ્સાર! હવે તું તારું રાજ્ય ગુમાવી દઈશ.’
એ જ સમયે નબૂખાદનેસ્સાર પાગલ થઈ ગયા. તે જંગલી જાનવરની જેમ વર્તવા લાગ્યા. તેમને મહેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તે મેદાનોમાં જંગલી જાનવરો સાથે રહેવા લાગ્યા. તેમના વાળ ગરુડનાં પીંછાં જેવા થઈ ગયા અને નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
સાત વર્ષ પછી નબૂખાદનેસ્સાર પહેલાના જેવા સાજા થઈ ગયા. યહોવાએ ફરી તેમને બાબેલોનના રાજા બનાવ્યા. પછી નબૂખાદનેસ્સારે કહ્યું: ‘હું સ્વર્ગના રાજા યહોવાનો જયજયકાર કરું છું. હવે મને ખબર છે, યહોવા જ મહાન રાજા છે! તે ઘમંડી લોકોને નીચા પાડે છે અને તે ચાહે તેને રાજ્ય આપી શકે છે.’
“અભિમાન વિનાશ લાવે છે અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.”—નીતિવચનો ૧૬:૧૮