પાઠ ૬૦
એક રાજ્ય જેનો કદી નાશ નહિ થાય
એક રાતે નબૂખાદનેસ્સાર રાજાને વિચિત્ર સપનું આવ્યું. એનાથી તે હેરાન-પરેશાન થઈ ગયા અને તેમની ઊંઘ ઊડી ગઈ. તેમણે પોતાના જાદુગરોને બોલાવ્યા અને કહ્યું: ‘મારા સપનાનો અર્થ જણાવો.’ તેઓએ કહ્યું: ‘હે રાજા, તમે અમને સપનું જણાવો.’ પણ નબૂખાદનેસ્સારે કહ્યું: ‘ના! તમે મને જણાવો કે મેં સપનામાં શું જોયું, નહિ તો હું તમને મારી નાખીશ.’ તેઓએ ફરીથી કહ્યું: ‘તમે અમને સપનું જણાવો, પછી અમે એનો અર્થ જણાવીશું.’ રાજાએ કહ્યું: ‘તમે બધા મને છેતરવા માંગો છો. મને જણાવો કે મેં સપનામાં શું જોયું.’ તેઓએ રાજાને કહ્યું: ‘તમે જે માંગ કરો છો એ શક્ય નથી. દુનિયામાં એવું કોઈ નથી, જે જણાવી શકે કે તમે સપનામાં શું જોયું.’
નબૂખાદનેસ્સારને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે દેશના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો. એ જ્ઞાનીઓમાં દાનિયેલ, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પણ હતા. સપનાનો અર્થ જણાવવા માટે દાનિયેલે રાજા પાસે થોડો સમય માંગ્યો. પછી તેમણે અને તેમના દોસ્તોએ પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. યહોવાએ શું કર્યું?
યહોવાએ દાનિયેલને એક દર્શનમાં નબૂખાદનેસ્સારે જોયેલું સપનું બતાવ્યું અને એનો અર્થ જણાવ્યો. બીજા દિવસે દાનિયેલે રાજાના સેવક પાસે જઈને કહ્યું: ‘કોઈ જ્ઞાનીને મારી ન નાખતા. હું રાજાના સપનાનો અર્થ જણાવી શકું છું.’ રાજાનો સેવક દાનિયેલને નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો. દાનિયેલે રાજાને કહ્યું: ‘ઈશ્વરે તમને જણાવ્યું છે કે ભાવિમાં શું બનવાનું છે. તમે આ સપનું જોયું: તમે એક મોટી મૂર્તિ જોઈ, જેનું માથું સોનાનું હતું, છાતી અને હાથ ચાંદીના હતા, પેટ અને જાંઘ તાંબાના હતા, એના પગ લોખંડના હતા. એના પગના પંજાનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો હતો. પછી એક પર્વતમાંથી પથ્થર છૂટો પડીને મૂર્તિના પગે અથડાયો. એટલે એ મૂર્તિના ચૂરેચૂરા થઈ ગયા અને એનો ભૂકો હવામાં ઊડી ગયો. પછી એ પથ્થર મોટો પર્વત બની ગયો, જેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.’
પછી દાનિયેલે કહ્યું: ‘તમારા સપનાનો અર્થ આ છે: સોનાનું માથું તમારું રાજ્ય છે. ચાંદીનો ભાગ તમારા પછી આવનાર રાજ્ય હશે. એના પછીનું રાજ્ય તાંબા જેવું હશે અને એ આખી પૃથ્વી પર રાજ કરશે. એના પછીનું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે. છેવટે એક એવું રાજ્ય આવશે જેના ભાગલા પડી જશે. એટલે કે એનો અમુક ભાગ લોખંડ જેવો મજબૂત હશે અને અમુક ભાગ માટી જેવો નબળો હશે. એક પથ્થર છૂટો પડીને પર્વત બન્યો, એ ઈશ્વરનું રાજ્ય છે. એ રાજ્ય આ બધા રાજ્યનો નાશ કરી દેશે અને એ હંમેશાં રહેશે.’
એ સાંભળીને નબૂખાદનેસ્સારે જમીન સુધી માથું નમાવીને દાનિયેલને નમન કર્યું. તેમણે કહ્યું: ‘તારા ઈશ્વરે જ તને આ સપનાનો અર્થ જણાવ્યો છે. તારા ઈશ્વર જેવો બીજો કોઈ ઈશ્વર નથી.’ નબૂખાદનેસ્સારે દાનિયેલને મારી ન નાખ્યા. પણ તેમને બધા જ્ઞાનીઓના મુખી અને બાબેલોનના પ્રાંતના અધિકારી બનાવ્યા. તમે જોયું, યહોવાએ દાનિયેલની પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપ્યો?
“હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.”—પ્રકટીકરણ ૧૬:૧૬