પાઠ ૮૩
ઈસુએ હજારો લોકોને જમાડ્યા
આ વાત સાલ ૩૨ના પાસ્ખાના તહેવારના થોડા સમય પહેલાંની છે. પ્રેરિતો પ્રચાર કરીને પાછા આવ્યા હતા. તેઓ ઘણા થાકી ગયા હતા. એટલે આરામ કરવા ઈસુ તેઓને હોડીમાં બેસાડીને બેથસૈદા લઈ ગયા. પણ કિનારે પહોંચીને ઈસુએ જોયું કે હજારો લોકો તેમની પાછળ પાછળ આવ્યા છે. ઈસુ પોતાના પ્રેરિતો સાથે થોડો સમય વિતાવવા ચાહતા હતા, તોપણ તે લોકોને પ્રેમથી મળ્યા. તેમણે બીમારોને સાજા કર્યા અને બધાને શીખવવા લાગ્યા. ઈસુએ આખો દિવસ ઈશ્વરના રાજ્ય વિશે શીખવ્યું. સાંજ થઈ ત્યારે પ્રેરિતોએ ઈસુને કહ્યું: ‘લોકોને ભૂખ લાગી હશે. તેઓને જવા દો, જેથી તેઓ ખાવા માટે કંઈક લઈ શકે.’
ઈસુએ કહ્યું: ‘તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને અહીંયા જ કંઈક ખાવા આપો.’ પ્રેરિતોએ પૂછ્યું: ‘શું તમે એવું ચાહો છો કે અમે તેઓ માટે ખાવાનું ખરીદી લાવીએ?’ ફિલિપે કહ્યું: ‘જો આપણી પાસે બહુ બધા પૈસા હોય, તોપણ આપણે બધાને થઈ રહે એટલી રોટલી ખરીદી શકીશું નહિ.’
ઈસુએ પૂછ્યું: ‘આપણી પાસે કેટલું ખાવાનું છે?’ આંદ્રિયાએ કહ્યું: ‘અહીં એક નાનો છોકરો છે. તેની પાસે પાંચ રોટલી અને બે નાની માછલી છે અને એ પૂરતી નથી.’ ઈસુએ કહ્યું: ‘એ રોટલીઓ અને માછલીઓ મારી પાસે લાવો.’ તેમણે લોકોને ૫૦-૫૦ અને ૧૦૦-૧૦૦ના સમૂહમાં ઘાસ પર બેસવા કહ્યું. ઈસુએ રોટલીઓ અને માછલીઓ લીધી અને આકાશ તરફ જોઈને પ્રાર્થના કરી. પછી તેમણે એ ખાવાનું પ્રેરિતોને આપ્યું અને તેઓએ લોકોને વહેંચ્યું. ત્યાં ૫,૦૦૦ માણસો, ઘણી બધી સ્ત્રીઓ અને બાળકો હતાં. બધાએ ધરાઈને ખાધું. એ પછી પ્રેરિતોએ વધેલું ખાવાનું ભેગું કર્યું, જેથી કંઈ ફેંકવું ન પડે. એનાથી ૧૨ ટોપલીઓ ભરાઈ ગઈ. કેટલો જોરદાર ચમત્કાર!
લોકો એટલા ખુશ થયા કે તેઓ ઈસુને પોતાના રાજા બનાવવા માંગતા હતા. પણ ઈસુ જાણતા હતા કે રાજા બનવા માટે હજુ યહોવાએ નક્કી કરેલો સમય આવ્યો નથી. એટલે ઈસુએ લોકોને મોકલી દીધા અને પ્રેરિતોને કહ્યું કે તેઓ ગાલીલ સરોવરની પેલે પાર જતા રહે. શિષ્યો હોડીમાં ગયા અને ઈસુ એકલા પહાડ પર ગયા. કેમ કે તે પોતાના પિતાને પ્રાર્થના કરવા માંગતા હતા. ભલે ઈસુ પાસે ગમે એટલું કામ હોય, પણ પ્રાર્થના કરવા તે હંમેશાં સમય કાઢતા હતા.
“જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે મહેનત કરો. માણસનો દીકરો એ ખોરાક તમને આપશે.”—યોહાન ૬:૨૭