‘સમયસરનો ખોરાક’
૧ “આપણને ખરેખર એની જરૂર હતી!” આવું જ કંઈક આપણે ખાસ સંમેલનમાં જઈ આવ્યા પછી કહીએ છીએ. ખાસ સંમેલન પછી એક સરકીટ ઓવરસીયરે જણાવ્યું કે તેમની સરકીટમાં અનેક ભાઈ-બહેનોએ પ્રચારમાં વધારે કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીજા સરકીટ ઓવરસીયરે કહ્યું: ‘સંમેલને આપણને યાદ અપાવ્યું કે કયા સમયમાં જીવીએ છીએ અને જીવનમાં કેવી પસંદગી કરવી જોઈએ.’ ‘અનેક ભાઈ-બહેનોએ જણાવ્યું કે સંમેલનમાં મળેલા સૂચનોને લીધે ભક્તિમાં આગળ વધવાની હોંશ જાગી. તેઓએ સ્વીકાર્યું કે પ્રચાર કામ જીવનમાં સૌથી અગત્યનું કામ છે.’ ખાસ સંમેલન દિવસથી તમને કેવો લાભ થયો છે?
૨ આવનાર ખાસ સંમેલનનો કાર્યક્રમ પણ આપણી જરૂરિયાત પૂરી પાડશે. એનો વિષય છે: ‘યહોવાહ પર આધાર રાખો’ જે ગીતશાસ્ત્ર ૧૧૮:૮, ૯માંથી લેવામાં આવ્યો છે. એમાં કેટલીક ટૉકના વિષયો છે: ‘સંકટને વખતે યહોવાહ કઈ રીતે આપણો કિલ્લો છે,’ ‘યહોવાહની પાંખ નીચે આશરો મેળવવા બીજાઓને મદદ કરો,’ ‘આશરો આપવામાં યહોવાહને અનુસરો,’ ‘યુવાનો, યહોવાહમાં ભરોસો રાખો!’ અને ‘ભક્તિ માટે યહોવાહે જે ગોઠવણો કરી છે એનાથી આશરો મળે છે.’
૩ લાભ મેળવવો: સંમેલનની તારીખ જાણવા મળે ત્યારથી જ એમાં હાજરી આપવાની તૈયારી કરો. તમારી સ્ટડીને પણ આવવા આમંત્રણ આપો. ‘ધીરજથી ફળ મળે’ માટે, આપણે સાંભળેલી માહિતીને યાદ રાખીએ. (લુક ૮:૧૫) કાર્યક્રમને ધ્યાનથી સાંભળો. મુખ્ય મુદ્દાઓ અને જે સૂચનાઓ તમે જીવનમાં અને પ્રચારમાં લાગુ કરવા ચાહો છો, એ લખી લો. કુટુંબ સાથે ભેગા મળીને કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે સમય કાઢો. વિચાર કરો કે તમે અને તમારું કુટુંબ કઈ રીતે શીખેલી માહિતીને અમલમાં મૂકી શકો છો.
૪ જેમ કોઈ મિત્ર તમારા માટે પ્રેમથી મજેદાર અને પૌષ્ટિક ભોજન તૈયાર કરે, એવી જ રીતે ખાસ સંમેલનનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. એ દિવસે હાજર રહેવા અને ‘સમયસરનો ખોરાક’ મેળવવા માટે યહોવાહ તમને જોઈતી મદદ આપશે. શ્રદ્ધા વધારવાના તમારા પ્રયત્નને તે જરૂર આશીર્વાદ આપશે.—માથ. ૨૪:૪૫.
[અભ્યાસ પ્રશ્નો]
૧. ખાસ સંમેલન દિવસથી તમને અને બીજાઓને કેવો લાભ થયો છે?
૨. ખાસ સંમેલનમાં કેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે?
૩. સંમેલનમાંથી પૂરે-પૂરો લાભ મેળવવા શું કરવું જોઈએ?
૪. શા માટે આપણે આવનાર ખાસ સંમેલનની રાહ જોવી જોઈએ?