પ્રબોધકોનો દાખલો લો—યૂના
૧. યૂનામાં કેવા સારા ગુણો હતા?
૧ યૂના પ્રબોધક વિશે વિચારો ત્યારે તમારા મનમાં શું આવે છે? અમુક લોકો યૂનાને ડરપોક કે કઠોર હૃદયના ગણશે. જોકે, તેમણે નમ્રતા, હિંમત અને જતું કરવાનું વલણ બતાવ્યું હતું. આપણે યૂનાના સારા ગુણોમાંથી કઈ રીતે “દાખલો” લઈ શકીએ?—યાકૂ. ૫:૧૦.
૨. યૂનાએ બતાવેલી નમ્રતાને આપણે કેવી રીતે અનુસરી શકીએ?
૨ નમ્રતા: યૂનાને જે શહેરમાં જવાનું કહેવામાં આવ્યું હતું એની વિરુદ્ધ દિશામાં તે ભાગી ગયા. એ નવાઈની વાત નથી કેમ કે, આશ્શૂરીઓ હિંસા માટે નામચીન હતા અને નીનવેહ “ખૂની નગર” તરીકે ઓળખાતું હતું. (નાહૂ. ૩:૧-૩) પરંતુ, યહોવાએ યૂનાને શિસ્ત આપી અને તેમને બીજી તક મળી ત્યારે, તેમણે એ કાર્ય સ્વીકારીને નમ્રતા બતાવી. (નીતિ. ૨૪:૩૨; યૂના ૩:૧-૩) જોકે, તે પહેલાં ભાગી ગયા હતા છતાં, તેમણે યહોવાની ઇચ્છા પ્રમાણે કર્યું. (માથ. ૨૧:૨૮-૩૧) એવી જ રીતે, આપણને શિસ્ત આપવામાં આવે કે પ્રચાર વિસ્તાર તકલીફવાળો હોય, તોપણ શું આપણે ખુશખબર ફેલાવવામાં મંડ્યા રહીએ છીએ?
૩. પ્રચારમાં હિંમત અને જતું કરવાનું વલણ બતાવવાની ક્યારે જરૂર પડી શકે?
૩ હિંમત અને જતું કરવાનું વલણ: જ્યારે યૂનાને ખબર પડી કે પોતાના ખોટા નિર્ણયને લીધે વહાણમાંના લોકોનું જીવન જોખમમાં મૂકાયું છે, ત્યારે તે પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગયા. (યૂના ૧:૩, ૪, ૧૨) પછીથી, નીનવેહમાં સોંપેલું કામ પૂરું કરવા ગયા ત્યારે, યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરવા યોગ્ય જગ્યાની શોધમાં તે છેક શહેરની વચ્ચોવચ્ચ ચાલીને ગયા. આ કોઈ ડરપોકનું નહિ, પણ યહોવાના હિંમતવાન પ્રબોધકનું કામ હતું. (યૂના ૩:૩, ૪) આજે આપણા વિશે શું? વિરોધ દરમિયાન ડર્યા વગર પ્રચાર કરવા ઈશ્વર તરફથી હિંમતની જરૂર પડે છે. (પ્રે.કૃ. ૪:૨૯, ૩૧) પ્રચાર માટે સમય અને શક્તિ આપવા જતું કરવાના વલણની પણ જરૂર છે.—પ્રે.કૃ. ૨૦:૨૪.
૪. યહોવાના પ્રબોધકોએ બેસાડેલા દાખલા પ્રમાણે કરવા આપણે કેમ સમય કાઢવો જોઈએ?
૪ યહોવાના પ્રબોધકો વિશે વાંચો ત્યારે, દરેક વખતે તમે પોતે એવા સંજોગોમાં છો એવી કલ્પના કરશો તો તમને ફાયદો થશે. પોતાને પૂછો: મેં શું કર્યું હોત? તેમના જેવા સારા ગુણો હું મારા જીવનમાં કેવી રીતે બતાવી શકું? (હિબ્રૂ ૬:૧૧, ૧૨) ભાવિમાં પણ આપણી રાજ્ય સેવામાં આવા લેખો આવશે. એના દ્વારા આપણે જોઈશું કે યહોવાના વફાદાર પ્રબોધકોના દાખલામાંથી શું શીખી શકીએ.