તમારી પાસેથી બીજાઓ શું શીખી શકે?
૧ ઈસુએ કહ્યું, ‘મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસેથી શીખો.’ (માથ. ૧૧:૨૯) તેમણે શબ્દોથી જ નહીં પણ પોતાના સારા ઉદાહરણથી લોકોને શીખવ્યું. જરા વિચારો કે શિષ્યો ઈસુ પાસેથી શું શીખ્યા! તે બહુ દયાળુ અને પ્રેમાળ હતા. (માથ. ૮:૧-૩; માર્ક ૬:૩૦-૩૪) તે ખૂબ નમ્ર માણસ હતા. (યોહા. ૧૩:૨-૫) શિષ્યો જોઈ શક્યા કે ઈસુ ભલે થાકી જતા તોપણ પ્રચાર કરતા રહેતા. સત્ય લોકોના દિલમાં ઉતરે એ રીતે શીખવતા હતા. (લુક ૮:૧; ૨૧:૩૭, ૩૮) આપણને પ્રચાર કરતા જોઈને લોકો પર શું અસર થઈ શકે?
૨ ઘરમાલિકો: આપણો સારો પહેરવેશ, સારા વાણી-વર્તન અને લોકો માટે જે પ્રેમ બતાવીએ છીએ એની ઘરમાલિકો પર સારી અસર થઈ શકે. (૨ કોરીં. ૬:૩; ફિલિ. ૧:૨૭) તેઓ જોઈ શકશે કે આપણે બાઇબલનો સારો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે બીજાઓનું ધ્યાનથી સાંભળીએ છીએ, ત્યારે તેઓ પર સારી છાપ પડે છે. એ ના ભૂલો કે આ બાબતોમાં સારું ઉદાહરણ બેસાડવાથી લોકો રાજ્યનો સંદેશો સાંભળવા તૈયાર થઈ શકે.
૩ મંડળના ભાઈ-બહેનો: એ પણ વિચારો કે આપણા સારા દાખલાથી ભાઈ-બહેનો પર કેવી અસર પડે છે. જો આપણે પ્રચાર કામ માટે ઉત્સાહ બતાવીશું, તો બીજા ભાઈ-બહેનોને પણ ઉત્સાહી બનવા પ્રેરણા મળશે. હકીકત એ છે કે લોઢું લોઢાને તેજદાર બનાવે છે. એવી જ રીતે જો આપણે પ્રચારમાં સારી રજૂઆત કરવા તૈયારી કરીશું, તો બીજાઓને પણ એમ કરવા પ્રેરણા મળશે. (નીતિ. ૨૭:૧૭) રસ ધરાવતી વ્યક્તિ વિષે સારી નોંધ રાખીને ફરી મુલાકાત કરીશું, તો બીજાઓને પણ એવું કરવાનું મન થશે. ઘરમાલિક સાથે સમજી-વિચારીને બોલીશું, તો ભાઈ-બહેનો પણ એમ કરતા શીખશે. પ્રચાર કરવાની જવાબદારી સારી રીતે નિભાવવાથી સાથે કામ કરનારા ભાઈ-બહેનો પર સારી અસર પડશે.—૨ તીમો. ૪:૫.
૪ સમય-સમય પર આપણે પોતાના વાણી વર્તનની તપાસ કરવી જોઈએ. તેમ જ વિચારવું જોઈએ કે કઈ રીતે આપણો દાખલો બીજાઓને અસર કરે છે. આપણો સારો દાખલો જોઈને યહોવાહ ખુશ થશે. સાથે-સાથે આપણે પણ પ્રેરિત પાઊલની જેમ કહી શકીશું: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.”—૧ કોરીં. ૧૧:૧.
[અભ્યાસ પ્રશ્નો]
૧. ઈસુના શિષ્યો તેમને જોઈને શું શીખ્યા?
૨. આપણો પહેરવેશ અને વાણી-વર્તન સારા હશે તો ઘરમાલિક પર કેવી અસર થઈ શકે?
૩. આપણો દાખલો કઈ રીતે ભાઈ-બહેનો પર સારી અસર પાડી શકે?
૪. શા માટે સમય-સમય પર વિચારવું જોઈએ કે આપણે કેવો દાખલો બેસાડીએ છીએ?