સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહીએ
૧. પ્રથમ સદીનાં કયાં ઉદાહરણો બતાવે છે કે, આપણે સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહેવું જોઈએ?
૧ યહોવાના ભક્તે સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહેવું જોઈએ. એટલે જ, ઈસુએ શિષ્યોને પ્રચાર કરવાની આવડતમાં સુધારો કરવાની તાલીમ આપી. (લુક ૯:૧-૫; ૧૦:૧-૧૧) આકુલા અને પ્રિસ્કીલાએ પણ આપોલસને પોતાના ઘરે લઈ જઈને “ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.” (પ્રે.કૃ. ૧૮:૨૪-૨૬) પાઊલે પણ અનુભવી તીમોથીને ઉત્તેજન આપ્યું કે, પોતે જે શીખે છે એને જીવનમાં લાગુ પાડતા રહે. એનાથી, તેમની “પ્રગતિ સર્વના જાણવામાં” આવશે. (૧ તીમો. ૪:૧૩-૧૫) ભલે ગમે એટલા વર્ષોથી યહોવાના ભક્ત તરીકે પ્રચાર કરતા હોઈએ, આપણે દરેકે શીખવવાની આવડતમાં સુધારો કરતા રહેવાની જરૂર છે.
૨. બીજાઓ પાસેથી કઈ રીતે શીખી શકીએ?
૨ બીજાઓ પાસેથી શીખીએ: આપણી આવડતમાં સુધારો કરવાની એક રીત છે, બીજાઓ પાસેથી શીખીએ. (નીતિ. ૨૭:૧૭) તેથી, સાથે કામ કરનાર ભાઈ કે બહેન ઘરમાલિક સાથે વાત કરે ત્યારે, ધ્યાનથી સાંભળો. પ્રચારમાં સારું કરતા હોય એવાં ભાઈ-બહેનો પાસેથી યોગ્ય સૂચનો માંગો. પછી, તેઓનું ધ્યાનથી સાંભળો. (નીતિ. ૧:૫) શું તમને ફરી મુલાકાત કરવા, બાઇબલ અભ્યાસ શરૂ કરવા કે પ્રચારના બીજા પાસાંમાં મદદની જરૂર છે? એમ હોય તો, પહેલ કરો. મદદ માટે તમારા ગ્રૂપ નિરીક્ષક કે અનુભવી ભાઈ કે બહેનને જણાવો. યાદ રાખો કે, આવડતમાં સુધારો કરવા યહોવાની પવિત્ર શક્તિ પણ મદદ કરી શકે. એટલે, દરરોજ પ્રાર્થનામાં એ માંગો.—લુક ૧૧:૧૩.
૩. સુધારો કરવા કોઈ સલાહ આપે ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ?
૩ બીજાઓ તમને સુધારો કરવા કોઈ સલાહ આપે ત્યારે, ગુસ્સે ન થાઓ. પછી, ભલેને તમે સલાહ માંગી પણ ન હોય. (સભા. ૭:૯) આપોલસની જેમ સલાહને નમ્રતાથી સ્વીકારો અને તેમનો આભાર માનો. એમ કરવાથી તમને ડહાપણ મળશે.—નીતિ. ૧૨:૧૫.
૪. સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહીએ માટે ઈસુએ કયું ઉદાહરણ વાપર્યું?
૪ પ્રગતિ કરવાથી યહોવાને મહિમા મળે છે: શિષ્યો બીજાઓને શીખવવામાં પ્રગતિ કરે માટે ઈસુએ ઉદાહરણ વાપરીને ઉત્તેજન આપ્યું હતું. તેમણે પોતાને દ્રાક્ષવેલા સાથે અને અભિષિક્તોને ડાળીઓ સાથે સરખાવ્યા. તેમણે કહ્યું કે, દરેક ડાળીને “વધારે ફળ આવે” માટે યહોવા એને શુદ્ધ કરે છે. (યોહા. ૧૫:૨) દ્રાક્ષાવાડીના માલિક વધારે ફળ આવે એવું ચાહે છે. એવી જ રીતે, યહોવા પણ ચાહે છે કે “હોઠોના ફળ”નું અર્પણ કરવા એટલે કે બીજાઓને સારી રીતે શીખવવા પ્રગતિ કરતા રહીએ. (હિબ્રૂ ૧૩:૧૫) બીજાઓને સારી રીતે શીખવવા પ્રગતિ કરીએ છીએ ત્યારે, કેવું પરિણામ આવે છે? એનો જવાબ આપતા ઈસુએ કહ્યું: ‘તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે.’—યોહા. ૧૫:૮.