યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
યહોવા ઈશ્વર ઘણા ઉદાર છે. (યાકૂ. ૧:૧૭) રાતે ચમકતા અઢળક તારાઓથી માંડીને, લીલીછમ પૃથ્વીની દરેક બાબતો, તેમની ઉદારતાની ઝલક છે.—ગીત. ૬૫:૧૨, ૧૩; ૧૪૭:૭, ૮; ૧૪૮:૩, ૪.
એક લેખકનું મન સર્જનહાર માટેની કદરથી એટલું ઊભરાઈ આવ્યું કે તે એક ગીત લખવા પ્રેરાયા. એ ગીત આપણને ગીતશાસ્ત્ર ૧૦૪માં જોવા મળે છે. એને વાંચીને તમે પણ એના લેખકની લાગણીઓ સાથે સહમત થશો. તેમણે લખ્યું કે “હું મરણપર્યંત યહોવાના ગુણ ગાઈશ; હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.” (ગીત. ૧૦૪:૩૩) શું તમારું દિલ પણ એવું જ કહે છે?
ઉદારતાનું અજોડ ઉદાહરણ
યહોવા ચાહે છે કે તેમની જેમ આપણે પણ ઉદાર મનના બનીએ. આપણે કેમ ઉદાર બનવું જોઈએ એનાં કારણો પણ તે જણાવે છે. તેમણે પ્રેરિત પાઊલને આમ લખવા પ્રેર્યા: ‘આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે અને ધનદોલતની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપયોગ માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે; તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય; ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.’—૧ તીમો. ૬:૧૭-૧૯.
કોરીંથ મંડળને લખેલા પોતાના બીજા પત્રમાં પ્રેરિત પાઊલે જણાવ્યું કે કઈ ભાવનાથી દાન આપવું જોઈએ. તેમણે લખ્યું કે “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” (૨ કોરીં. ૯:૭) એ પછી પાઊલ જણાવે છે કે દાન આપનારને અને દાન મેળવનારને કઈ રીતે ફાયદો થાય છે. જેઓ ઉદાર હાથે દાન આપે છે, તેઓને ઈશ્વર તરફથી ઘણા આશીર્વાદો મળે છે. એવી જ રીતે, જેઓને એ દાન આપવામાં આવે છે તેઓની જરૂરિયાતો પૂરી થાય છે.—૨ કોરીં. ૯:૧૧-૧૪.
પાઊલ એ અધ્યાયના છેલ્લા ભાગમાં યહોવાની ઉદારતાનો ઠોસ પુરાવો આપે છે. તે લખે છે: “ઈશ્વરના અનિર્વાચ્ય [એટલે કે, વર્ણન ન થઈ શકે એવા] દાનને માટે તેની સ્તુતિ થાઓ.” (૨ કોરીં. ૯:૧૫) યહોવાએ આપેલી ઈસુના બલિદાનની ભેટ ખરેખર અદ્ભુત છે. યહોવા પોતાના લોકોનો કેટલો બધો વિચાર કરે છે! એ ભેટ એનો મોટો પુરાવો છે. ખરેખર, એ ભેટ દ્વારા યહોવાએ જે કિંમત ચૂકવી છે, એને શબ્દોમાં વર્ણવી ન શકાય!
યહોવા અને તેમના દીકરા ઈસુએ આપણા માટે જે કર્યું અને કરે છે, એનો અહેસાન માનવા આપણે શું કરી શકીએ? એની એક રીતે છે કે આપણાં સમય, શક્તિ અને માલમિલકતને યહોવાની સેવામાં આપીએ. ભલેને પછી આપણું દાન નાનું હોય કે મોટું!—૧ કાળ. ૨૨:૧૪; ૨૯:૩-૫; લુક ૨૧:૧-૪.
a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.
b ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org
c નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તારની દેખરેખ રાખતી શાખા કચેરીને પૂછપરછ કરો.
d ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્નડા, મલયાલમ, હિંદી, તામિલ અને તેલુગુમાં પ્રાપ્ય છે.